ઈશ્ક પર થોડું કઈ લખાતું હશે? એ તો કવિઓ,લેખકો,ગઝલકારો એ ક્યારનુય વૃદ્ધ કરી નાખ્યું છે અનેકવાર સર્જન કરી કરીને. એટલે માઉન્ટ મેઘદૂત માટે આમ જોવા જાવ તો આ મામલે હાથ તંગ થઇ જાય એવું બને છે. 😛 પ્યાર ઈશ્ક અને મહોબ્બત પર દુનિયામાં શરાબ પછી સૌથી વધુ લખાયું છે. એટલા માટે કેમકે અનુભૂતિ સરખી રહે છે, સમય અને સાથે સાથે આપણે સહુ બદલાતા જઈએ છીએ. પ્રેમનો એકરાર કરવાના તરીકાઓ બદલાય છે, પણ ગુઝ્બમ્પ્સ એમના એમ જ રહ્યા છે. પ્રેમકી ભંગ ચડા દે ની ફીલિંગ કિક બધે સરખી છે.એમાય, વિરહ આધારિત સર્જનો સ્ત્રી માટે અને સ્ત્રીને ઉદ્દેશીને વધુ થયા છે. પણ પુરુષની ફીલિંગ ક્યાં? અહિયાં થી શરૂઆત થાય છે પુરુષના મનના પ્રેમની વાત. અરિજિત સિંઘ ના ખરજમય તાન સાથેનું ગીત, યે લાલ ઈશ્ક,યે મલાલ ઈશ્ક,યે ઐબ ઈશ્ક, યે બૈર ઈશ્ક…
રહા ના મેં ફિર અપને,જૈસા… ક્યા બાત !! રામલીલા ફિલ્મમાં ભવાડા ની સાથે આવું ગીત પણ છે જે નગાડા સંગ ઢોલ અને મોર બની થનગાટ કરે ની વચ્ચે દબાઈ ગયું છે. એ એના ફરફરતા કેશને લીધે મનની કેમિસ્ટ્રીમાં પડતા કેમિકલ લોચા, એ ખવાઈ ગયેલી ચોકલેટનું બ્લુ રેપર, એ પહેલી કિસની હોઠ પર હજી રહેલી થર્રાહટ…પુરુષ ઝડપથી હલાલ થઇ જાય છે ગમતીલી સ્ત્રીના માટે,એના હાથે,એના માટે. પુરુષ પ્રેમનો એકરાર કરવા બંધાયેલો નથી, હા-એ એવું બંધન વળગાડે છે જેમાંથી સ્ત્રી ને એકવાર જકડાઈ ગયા પછી છૂટવું ગમતું નથી. વિરહમાં મિસિંગ યુ બેડલી કહીને સ્ત્રી હળવી થાય છે.કોની પાસે? ગમતા પુરુષ પાસે.પુરુષ મિસ કરે સ્ત્રી ને?પૂછો કૃષ્ણને. પુરુષ શું મિસ કરે? એ એની હથેળીઓને કરેલો સ્પર્શ, એ ટાઈટ હગ, એ મીઠા છણકા અને ભવિષ્યના રંગીન સપના સાથે સાથે એકબીજાની આંખોમાં જોયા એ. પુરુષ ઈચ્છવા છતાં હળવો થઇ શકતો નથી. ઈશ્ક એની આ માસુમિયત પણ છીનવી લે છે. એ રૂથલેસ બને છે મહોબ્બતમાં. મલાલ ઈશ્ક પછી રુધિરયુક્ત ઈશ્કમાં પરિવર્તિત થાય છે.
ત્યાં રાંઝણા નથી થવાનું, ત્યાં કુદરત સામે બાથ ભીડવાની પોલાદી સખ્તાઈ જોઈએ છે. મહેબુબા સાથેના ઝગડામાં સ્થિર રહેવાનું છે,ભલે એ વ્યર્થ અકળાતી હોય. ત્યાં શાંત રહેવાનું ઈશ્ક શીખવે છે. મહોબ્બત તો સાયલન્ટલી થતી ઈબાદત છે. એમાં અપેક્ષા શું, અપેક્ષાનો વિચાર પણ વર્જ્ય છે. કેમકે ઈશ્વર સાથે થાય તો પરમ, અને માનવ સાથે થાય તો પ્રેમ પામી લેવાય છે. ચુપચાપ ભવિષ્ય બુનતા જવાનું મહોબ્બત શીખવે છે. સારું ખરાબ બધું ફેસ કરતા કરતા,સાથ ન છોડવાનું મહોબ્બતનું લક્ષણ છે. કોણ કહે છે પ્રેમ ચીપ થઇ ગયો છે? પ્રેમ ચીપ હોતો જ નથી, ચીપ હોય છે લોકો; જે સહજ આકર્ષણને પ્રેમ માની બેસે છે.
મહોબ્બત અને ભક્તિ લગભગ સરખા છે. બેયમાં અખૂટ ધીરજ જોઈએ છે. ભક્તિમાં આપણે પૂછીએ છીએ કે આ મેં આટલી માળા કરી એટલે અમુકતમુક લાભ મળવા જ જોઈએ? એમાં શું છોડીએ છીએ? પોતાને.સ્વ ને.સ્વ ને ભૂલીને ત્વં તરફ ચાલી નીકળીએ છીએ. મહોબ્બત કે ઈશ્ક આ જ યાત્રા છે. એમાં લગ્ન એ અંતિમ પડાવ નથી,હા-એક માઈલ્સ્ટોન જરૂર છે.પણ એ તો થોડીવાર થાક ખાવા જેવડો વિસામો છે. અસલી સફર તો શરુ થાય છે ત્યાંથી. એજ રીતે ભક્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થઇ જાય એટલે અટકવાનું નથી. ત્યાંથી તો ચાલી નીકળવાનું છે પરમ તરફ. એક દિન કભી જો ખુદકો તલાશે મેરી નઝર સે તું ઝરા કહીને જિંદગી આગળ વધે છે. સાથે ફરવા કરતા સાથે બુઢા થતા જવાનું વધુ મુશ્કેલ અને ચેલેન્જીંગ છે.અને એટલે જ ઇન્ટરેસ્ટીંગ પણ છે. ધીમા ભરાતા ચાર કદમોની આવાઝ આવનાર ભવિષ્યના આગાઝ સાથે મળી જાય છે અને બેય મહોબ્બતો એકાકાર થઇ જાય છે.એકબીજાના સ્વ અને ત્વં માં. એટલે જ મહોબ્બત મુશ્કેલ છે, પણ જલતા દિલોની રોશની છે. ઈશ્ક હકીકી અને મિજાજી છે,પણ એ કરવામાં મહોબ્બતના મારગડે પહોંચવાનું યાદ રહે તો ઉત્તમ…
પાપીની કાગવાણી:
મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનાવેલો કાચો બાંધો છે. રો મટીરીયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે.